વાલિયાના મીરાપુર ગામે તસ્કરોએ આતંક ફેલાવ્યો: રક્ષાબંધનના તહેવારે જ પરિવાર બહાર ગયો ને તસ્કરો હાથફેરો કરી ગયા ! | Akhand Bharat Dainik
વાલિયાના મીરાપુર ગામે તસ્કરોએ આતંક ફેલાવ્યો: રક્ષાબંધનના તહેવારે જ પરિવાર બહાર ગયો ને તસ્કરો હાથફેરો કરી ગયા !
BHARUCH | By Akhand Bharat Team | Published:
General
વાલિયાના મીરાપુર ગામે તસ્કરોએ આતંક ફેલાવ્યો: રક્ષાબંધનના તહેવારે જ પરિવાર બહાર ગયો ને તસ્કરો હાથફેરો કરી ગયા !
લૂણાવાડાના ડિવાયએસપીના ભાઈના બંધ મકાનમાંથી રોકડા રૂપિયા , સોનું અને સિંગતેલ મળી રૂપિયા ૨.૪૨ લાખની ચોરી
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના મીરાપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા કલ્પેશભાઈ બીજલભાઈ વસાવાના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂપિયા ૨,૪૨,૯૨૦ની મત્તા ચોરી જતાં સનસનાટી મચી ગઈ છે. નોંધનીય છે કે ફરિયાદીના નાનાભાઈ કમલેશભાઈ વસાવા હાલ લૂણાવાડા ખાતે ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવે છે.
રક્ષાબંધનના તહેવારે જ ઘર બંધ મળતાં તસ્કરોએ તક ઝડપી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગત તારીખ ૨૮/૦૮/૨૦૨૬ ના રોજ રક્ષાબંધનનો તહેવાર હોવાથી ફરિયાદી કલ્પેશભાઈ તથા તેમના પત્ની સ્નેહલતાબેન અને બાળકો ઘરને તાળાં મારીને ફોઈના ઘરે ઝરણા ગામે તહેવાર ઉજવવા ગયા હતા. સાંજથી રાત્રિ દરમિયાન મકાન બંધ હતું ત્યારે તસ્કરો ધાબાનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા હતા. રાત્રે આશરે ૧૨ વાગ્યાના સુમારે પરિવાર પરત ફર્યો ત્યારે ઘરનો પાછળનો દરવાજો અંદરથી બંધ જણાયો હતો. પાછળના વાડામાંથી અંદર જઈ તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં મળ્યો હતો. તપાસ કરતા ઘરમાં રાખેલ બાળકોની સ્કૂલ ફી ભરવા માટેના રોકડા રૂપિયા ૧,૯૦,૦૦૦,
સોનાના દાગીના રૂપિયા ૪૦,૦૦૦, રસોડાના સ્ટોર રૂમમાંથી સિંગતેલના ૧-લીટરના ૩૬ પાઉચ (કિંમત રૂ. ૭,૯૨૦) તેમજ રૂપિયા ૫,૦૦૦ની કિંમતનો એક મોબાઇલ ચોરાયા હતા.આ અગાઉ પણ તેમના ઘરે ચોરી થઈ હોવાનો ઉલ્લેખ થયો હતો. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આ અગાઉ આશરે ચારેક મહિના પહેલાં પણ તેમના ઘરેથી રૂપિયા ૧૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ અને રૂપિયા ૧૭,૦૦૦ની કિંમતની સબમર્સિબલ મોટરની ચોરી થઈ ચૂકી છે.
ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ ૧૧૨ જનરક્ષક ટીમને જાણ કરી હતી. આ મામલે વાલિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.