ઝઘડિયા ખાતે અજાણ્યા ઇકો ચાલકે ચાલતા જતા વૃધ્ધને અડફેટમાં લીધા: પાંચ દિવસની સારવાર બાદ વૃધ્ધે દમ તોડ્યો-ઇકો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો
BHARUCH | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ઝઘડિયા ખાતે અજાણ્યા ઇકો ચાલકે ચાલતા જતા વૃધ્ધને અડફેટમાં લીધા: પાંચ દિવસની સારવાર બાદ વૃધ્ધે દમ તોડ્યો-ઇકો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો
ભાલોદ તા.૨૮ ઓગસ્ટ '૨૬
ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી રાજપારડી જવાના મુખ્ય માર્ગ પર કચરાના પ્લાન્ટ સામે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અજાણ્યા ઇકો કારના ચાલકે પગપાળા જઈ રહેલા એક વૃધ્ધને જોરદાર ટક્કર મારતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે ઝઘડિયા પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ, ઝઘડિયા ગામની નવી નગરીમાં રહેતા ૬૦ વર્ષીય નટવરભાઈ અવિચળભાઈ વસાવા ગત તારીખ ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે જમીને ઘર નજીક આવેલ મેઈન રોડ પર ચાલવા નીકળ્યા હતા, તે દરમિયાન ઝઘડિયાથી રાજપારડી તરફ આવી રહેલ એક અજાણી ઇકો ફોર-વ્હીલર કારના ચાલકે નટવરભાઈને અડફેટે લીધા હતા, અને અકસ્માત સર્જી પોતાની ગાડી સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં નટવરભાઈને માથાના પાછળના ભાગે, છાતી પર તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા તેમના પરિવારજનો અને આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ મારફતે તેમને સૌ પ્રથમ અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે ફરજ પરના તબીબે નટવરભાઈને મૃત જાહેર કર્યા હતા. પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાથી પુત્ર રાહુલભાઈ વસાવાએ ૫ દિવસ બાદ (૨૭ ઓગસ્ટ) સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પ ખાતે ઝઘડિયા પોલીસને પોતાની ફરિયાદ નોંધાવી હતી. ઝઘડિયા પોલીસે આ મામલે અજાણ્યા ઇકો કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.